જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 9 મે 2023ની હિંસા સાથે જોડાયેલા આઠ કેસોમાં ધરપકડ બાદ લાહોર હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. આ કેસોમાં સેનાના વરિષ્ઠ અધિકારીના નિવાસસ્થાન પર થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે. લાહોર હાઈકોર્ટ સમક્ષ શનિવારે અલગ અલગ જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) લાહોરે આ કેસોમાં ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
પોતાની અરજીઓમાં ઇમરાન ખાને દલીલ કરી હતી કે, તેમની ધરપકડ બાદ 9 મેના રોજ થયેલી હિંસામાં તેમની સંડોવણી સાબિત કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો હતો. 9 મે, 2023 ના રોજ અર્ધસૈનિક રેન્જર્સ દ્વારા ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. તેમના પક્ષના કાર્યકર્તાઓએ જિન્ના હાઉસ (લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ), મિયાંવાલી એરબેઝ અને ફૈસલાબાદમાં આઈએસઆઈની ઈમારત સહિત ડઝન જેટલા લશ્કરી મથકોની તોડફોડ કરી હતી.
સેનાના મુખ્યાલય પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ટોળાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર (જીએચક્યુ) પર પણ હુમલો કર્યો હતો. ખાને કહ્યું હતું કે ૯ મેના કેસો “ફક્ત રાજકીય કારણોસર તેમને પજવણી અને અપમાનિત કરવાના આયોજિત કાવતરા” ના પરિણામે ઘડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કેસોમાં તેમની સામે એકમાત્ર આરોપ “ઉશ્કેરણી” નો હતો જે ફરિયાદી દ્વારા ખૂબ જ અસ્પષ્ટ રીતે આગળ ધપાવવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટ (એલએચસી) સોમવારે ખાનની અરજી પર વિચાર કરે તેવી સંભાવના છે. ખાન ઘણા કેસોમાં ઓગસ્ટ 2023 થી જેલમાં છે.
